જડેશ્વર લોકમેળા દરમિયાન વાંકાનેર તાલુકા પોલીસે ‘ઓપરેશન મિલાપ’ હેઠળ માતા-પિતાથી વિખુટા પડેલા બાળકને શોધી તેના પિતા સાથે પુનઃમિલન કરાવ્યું હતું.
વાંકાનેર તાલુકાના જડેશ્વર મહાદેવ મંદિર ખાતે તા. ૨૨થી ૨૪ ઓગસ્ટ દરમિયાન યોજાયેલા લોકમેળામાં વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. દરમિયાન પોલીસને આરોહી અજીતભાઈ સીતાપરા ઉવ.૦૨નામનું બાળક મળી આવતા પોલીસે તેના વાલીવારસની શોધખોળ હાથ ધરી હતી. તપાસ બાદ બાળકના પિતા અજીતભાઈ રણજીતભાઈ સીતાપરા રહે. જેતપરડા તા. વાંકાનેર વાળાની ખરાઈ કરી બાળકને સલામત રીતે તેમના હવાલે કરવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા ‘ઓપરેશન મિલાપ’ અંતર્ગત મેળામાં વિખુટા પડેલા અન્ય બાળકો તેમજ વયોવૃદ્ધ વડીલોને પણ તેમના પરિવારજનો સાથે મિલન કરાવવામાં સફળતા મળી હતી.






