શિવમ જીન પાસે અકસ્માતમાં પાછળ બેઠેલા સોમાભાઈ બામણીયાનું સારવાર દરમિયાન મોત.
ટંકારાના નેકનામ-રોહીશાળા રોડ પર શિવમ જીન નજીક કાર અને મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં મોટરસાયકલ પાછળ બેઠેલા સોમાભાઈ બામણીયાને ગંભીર ઈજા થતાં રાજકોટની સરકારી હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું, જ્યારે મોટરસાયકલ ચાલક કેશનભાઈ બારીયાને પગમાં ફ્રેક્ચર સહિતની ઈજાઓ પહોંચી હતી.
મળતી માહિતી મુજબ તા. ૪ સપ્ટેમ્બરના રોજ બપોરના અરસામાં કેશનભાઈ પરુભાઈ બારીયા ઉવ.૪૨ રહે.હાલ રોહિશાળા ગામની સીમ નાથાભાઈ ઉકાભાઈ સવસાણીની વાડીમાં તા.ટંકારા મૂળ રહે.આંબલી મેનપુર ગામ ભગત ફળિયા તા.ધાનપુર જી.દાહોદ વાળા અને તેમની સાથે બાજુના ખેતરમાં કામ કરતા સોમાભાઈ બામણીયા એમ બન્ને મોટરસાયકલ નંબર જીજે-૧૭-બીજે-૪૧૫૨ ઉપર નેકનામથી રોહીશાળા તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન શિવમ જીન પાસે સામેથી આવતી સફેદ રંગની કાર નંબર જીજે-૩૬-એએફ-૬૪૫૮ના ચાલકે પૂરઝડપે અને બેદરકારીપૂર્વક પોતાનું વાહન હંકારી મોટરસાયકલને ટક્કર મારી હતી. અકસ્માતમાં કેશનભાઈને જમણા પગમાં ફ્રેક્ચર તથા ચહેરા પર ઈજા થઈ હતી. જ્યારે પાછળ બેઠેલા સોમાભાઈને માથામાં ગંભીર ઈજા થતાં રાજકોટની સરકારી હોસ્પિટલમાં આઈસીયુમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. હાલ મોટર સાયકલ ચાલક ઇજાગ્રસ્ત કેશનભાઈની ફરિયાદને આધારે ટંકારા પોલીસે આરોપી કાર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.






