નણંદની ચઢામણીથી દારૂના નશામાં પતિ અને દિયર મારકૂટ અને માનસિક ત્રાસ આપતા હતા.
મોરબી તાલુકાના રંગપર ગામે પરિણીતાએ એસિડ પી આપઘાત કર્યા બાદ તેના ભાઈએ પતિ, દિયર અને નણંદ સામે શારીરિક અને માનસિક ત્રાસ આપી આપઘાત માટે દુષ્પ્રેરિત કર્યા અંગેની ફરિયાદ નોંધાવી છે. નણંદની ચઢામણીથી પતિ અને દિયર દારૂના નશામાં બેફામ મારકૂટ કરતા હતા. હાલ મોરબી તાલુકા પોલીસે ત્રણેય આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, મૂળ જામનગર ચૂર ગામના વતની હાલ રાજકોટ બાબરીયા કોલોનીમાં રહેતા શક્તિસિંહ બચુભા જાડેજાએ મોરબી તાલુકા પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમની બહેન ભક્તિબાના લગ્ન વર્ષ ૨૦૨૦માં રંગપર ગામના રાજદીપસિંહ ઘનશ્યામસિંહ ઝાલા સાથે થયા હતા. લગ્ન બાદથી પતિ રાજદીપસિંહ, દિયર પરાક્રમસિંહ અને સુરેન્દ્રનગર રહેતી નણંદ હર્ષાબા ઝાલા દ્વારા સતત શારીરિક તેમજ માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. જેમા નણંદની ચઢામણીથી પતિ અને દિયર દારૂના નશામાં પરિણીતાને મારકૂટ કરતા અને અનેક વખત ઘરેથી કાઢી મૂકતા હતા.
જેથી પતિ અને દિયરના શારીરિક માનસિક ત્રાસથી કંટાળીને ભક્તિબાએ ૩૦ જૂને પોતાના ઘરે એસિડ પી લીધું હતું. સારવાર દરમિયાન તેણે ભાઈ સમક્ષ પણ પતિ, દિયર અને નણંદના ત્રાસનો ઉલ્લેખ કર્યો હતો. જોકે સમાજની માન-મર્યાદાને ધ્યાનમાં રાખીને તેણે શરૂઆતમાં અધિકારીઓ સમક્ષ કોઈનું નામ જાહેર કર્યું ન હતું. સારવાર દરમિયાન ૨ જુલાઈએ તેનું મોત નિપજ્યું હતું. સમગ્ર મામલે હક મોરબી તાલુકા પોલીસે આરોપી પતિ રાજદીપસિંહ ઝાલા, દિયર પરાક્રમસિંહ ઝાલા અને નણંદ હર્ષાબા ઝાલા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.






