રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાના પ્રયાસોને સફળતા: ઉચ્ચ અધિકારીઓએ સૂચિત સ્થળનું કર્યું નિરીક્ષણ.
મોરબી ધારાસભ્ય અને રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાના સતત પ્રયાસો અને રજૂઆતોના પરિણામે મોરબીમાં ઓલ ઈન્ડિયા રેડિયો (આકાશવાણી) સ્ટેશન શરૂ કરવાની દિશામાં કામગીરી આગળ વધી છે. આજે ઉચ્ચ અધિકારીઓએ સૂચિત સ્થળનું નિરીક્ષણ કરી પ્રાથમિક સમીક્ષા કરી હતી.
મોરબી ખાતે આકાશવાણી સ્ટેશન માટેની સૂચિત જગ્યાનું એડિશનલ ડાયરેક્ટર જનરલ અભિષેક અગ્રવાલ, ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ રવિન્દ્ર ગોયલ અને આકાશવાણી -અમદાવાદ ગુજરાત ક્લસ્ટરના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ એન.એલ. ચૌહાણ સહિતના અધિકારીઓએ સ્થળ નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન સ્થળની યોગ્યતા, ઈન્ફ્રાસ્ટ્રક્ચર સહિતની બાબતો અંગે ચર્ચા કરવામાં આવી હતી.
સ્થળ નિરીક્ષણમાં મોરબી મહાનગરપાલિકાના મેયર ઉત્તમભાઈ સુરાણી, જયદીપભાઈ દેત્રોજા સહિતના સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. મોરબીમાં આકાશવાણી સ્ટેશન શરૂ થતાં સ્થાનિક સમાચાર, શિક્ષણ, કૃષિ, ઉદ્યોગ, સંસ્કૃતિ અને લોકકલા સહિતના જનહિતના કાર્યક્રમોને વધુ વ્યાપક માધ્યમ મળશે. રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાના પ્રયાસોથી મોરબીના વિકાસમાં વધુ એક મહત્વપૂર્ણ સુવિધાનો ઉમેરો થવા જઈ રહ્યો છે તેમ યાદીમાં જણાવવામાં આવ્યું છે.






