મોરબી તાલુકા અને વાંકાનેર વિસ્તારમાં અલગ-અલગ કારણોસર ચાર વ્યક્તિના મોત નિપજતાં સંબંધિત પોલીસ મથકોમાં અપમૃત્યુની નોંધ કરવામાં આવી છે. મોરબી તાલુકામાં બે તથા વાંકાનેર સીટી પોલીસ મથકમાં બે અપમૃત્યુના બનાવો નોંધાયા છે.
પ્રથમ અપમૃત્યુની પ્રાપ્ત વિગત મુજબ, મોરબી તાલુકાના ઘુંટુ ગામે રહેતા કનુભાઈ જગાભાઈ ઉડેશા ઉવ.૫૨ ગત તા. ૧૬ સપ્ટેમ્બરના બપોરે પોતાની વાડીએ અજાણી દવા પી ગયા હતા. ત્યારબાદ સારવાર માટે મોરબી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. અપમૃત્યુના બીજા બનાવમાં મોરબી તાલુકાના બરવાળા ગામ નજીક વિજયભાઈ નારણભાઈ રાઠોડ ઉવ.૪૫ રહે. મેઘપર (દેરાળા) તા. માળીયા (મી) વાળાનું મોરબી-બરવાળા રેલવે પાટા ઉપર ફાટક નં. ૩૯ સામે ટ્રેન અકસ્માતમાં ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું મોત થયું હતું.
જ્યારે ત્રીજા અપમૃત્યુના બનાવ અંગે મળતી વિગતો મુજબ, વાંકાનેર તાલુકાના શક્તિપરી ગામે રહેતા હરેશભાઈ હમીરભાઈ રોજાસરા ઉવ.૨૮ વાળાએ તા. ૧૪ સપ્ટેમ્બરના બપોરે પોતાના રહેણાક મકાન ખાતે કોઈ કારણસર ઝેરી દવા પી લીધી હતી. અર્ધબેભાન હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ રહેલા હરેશભાઈનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ ઉપરાંત અપમૃત્યુના ચોથા બનાવમાં વાંકાનેર આંબેડકરનગર શેરી નં.૪માં રહેતા દેવજીભાઈ હરીભાઈ ચાવડા ઉવ.૫૨ વાળાએ ગઈકાલ તા. ૧૭ સપ્ટેમ્બરના રોજ કોઈ કારણસર એસિડ પી લીધું હતું. ઉલ્ટી થયા બાદ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. ત્યારે તમામ અપમૃત્યુના બનાવ અંગે પોલીસે અ.મોતની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.






