મોરબીથી શ્રીજી આંગડીયા મારફત રાજકોટ આંગડીયું કરાવી, રકમ ઉપડાવી મોબાઇલ સ્વીચ ઓફ કરી દીધો: બે શખ્સ સામે ફરિયાદ.
મોરબીના રવાપર ચોકડી ખાતે આવેલ શ્રીજી આંગડીયા પેઢી ચલાવતા વેપારી પાસેથી વિશ્વાસ કેળવી રૂ.૬૦.૬૩ લાખનું રાજકોટ આંગડીયું કરાવ્યા બાદ રકમ ઉપાડી લીધા બાદ મોબાઇલ સ્વીચ ઓફ કરી દેવામાં આવ્યો હતો. હાલ આ મામલે આંગડીયા પેઢી સંચાલકે બે શખ્સ સામે છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી છે.
મોરબીના નીતિન સોસાયટી રવાપર રોડ ખાતે રહેતા અને રવાપર ચોકડીએ કોહીનુર કોમ્પ્લેક્સમાં શ્રીજી આંગડિયા પેઢી ચલાવતા વીપુલભાઈ મોતીભાઈ ગોધાણી ઉવ.૪૫એ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં આરોપી જયરાજસિંહ મહેન્દ્રસિંહ ગોહિલ રહે. શકત શનાળા અને આરોપી નિમેષ આચાર્ય મો.નં.૯૯૦૪૩ ૬૨૧૬૨ વાળા વિરુદ્ધ જાહેર કરેલ ફરિયાદમાં જણાવ્યું છે કે, આરોપી જયરાજસિંહ મહેન્દ્રસિંહ ગોહિલ અગાઉ તેમની પેઢી મારફતે અનેક વખત આંગડીયું કરાવતો હોવાથી તેના પર વિશ્વાસ હતો. ત્યારે ગત તા.૧૪ ઓગસ્ટે આરોપી જયરાજસિંહે રૂ.૬૦,૬૩,૪૦૦/- રાજકોટ મોકલવાનું કહી આંગડીયું કરાવ્યું હતું.
ત્યારબાદ રાજકોટ રૈયારોડ સ્થિત શ્રીજી આંગડિયા પેઢીમાંથી જયરાજસિંહના પરિચિત નિમેષભાઈ આચાર્યે આ રકમ ઉપાડી લીધી હતી. જે બાદ ફરિયાદી વીપુલભાઇ દ્વારા જયરાજસિંહ અને નિમેષભાઈનો સંપર્ક કરવાનો પ્રયાસ કરતાં બંનેના મોબાઇલ સ્વીચ ઓફ આવતા, તપાસ કરતાં બંનેની ભાળ ન મળતાં પૂર્વઆયોજિત કાવતરું રચી વિશ્વાસ કેળવી રકમ પડાવી લઈ છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યાનું માલુમ પડ્યું હતું. હાલ મોરબી એ ડિવિઝન પોલીસે બન્ને આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.






