મોરબીના સરદાર રોડ પર આવેલી રાધા કૃષ્ણ જ્વેલર્સ નામની સોના-ચાંદીની દુકાનમાં ગત તા. ૫/૯/૨૦૨૬ના રોજ રાત્રિના સમયે પાછળની દીવાલમાં બાકોરું પાડી અજાણ્યા શખ્સો ₹૧૭,૨૪,૦૦૦ ની કિંમતના સોના અને ચાંદીના દાગીના ચોરી ગયા હતા. આ અનડિટેક્ટ ગુનાનો ભેદ ઉકેલવા માટે બોર્ડર રેન્જ આઇ.જી.પી. ચિરાગ કોરડીયા તથા મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશકુમાર પટેલની સૂચના અને નાયબ પોલીસ અધિક્ષક જે.એમ. આલના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર વાય.બી. જાડેજા તથા સર્વેલન્સ સ્ટાફ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસે બનાવ સ્થળની આસપાસના આશરે ૨૫૦ જેટલા સીસીટીવી કેમેરા તેમજ નેત્રમ કંટ્રોલ રૂમના કેમેરા અને હ્યુમન સોર્સિસની મદદથી તપાસ કરતાં ખાનગી બાતમી મળી હતી કે મોરબી વાવડી રોડ પર આવેલા શ્રીજી પાર્કમાં રહેતા પિતા-પુત્ર આ ચોરીમાં સંડોવાયેલા છે.
આ બાતમીના આધારે પોલીસે વાવડી રોડ સ્થિત મકાનમાં ઝડતી કરતાં ભોંયતળિયે આવેલા પાણીના ટાંકામાં છુપાવેલા ચોરીના તમામ સોના-ચાંદીના દાગીના તથા ભંગાર મળી આવ્યો હતો. જેમાં ₹૨,૭૪,૦૦૦ ની કિંમતના ૨૪.૦૫ ગ્રામ સોનાના નાકના દાણા તથા પેન્ડલ, ₹૧૨,૫૦,૦૦૦ ની કિંમતના ૬ કિલો ૨૫૦ ગ્રામ ચાંદીના દાગીના તેમજ ₹૨,૦૦,૦૦૦ ની કિંમતનો ૧ કિલો ૬૯૬ ગ્રામ જૂનો ચાંદીનો ભંગાર સામેલ છે. આ ઉપરાંત ગુનામાં ઉપયોગમાં લેવાયેલું ₹૫૦,૦૦૦ ની કિંમતનું સ્પ્લેન્ડર મોટરસાયકલ (GJ-36-AM-7998) પણ જપ્ત કરવામાં આવ્યું છે, જેથી કુલ ₹૧૭,૭૪,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કરાયો છે. પોલીસે મૂળ નવી નવલખી (તા. માળિયા-મીંયાણા) ના વતની અને હાલ વાવડી રોડ પર ભાડે રહેતા ૫૩ વર્ષીય કરીમભાઇ હાસમભાઇ માણેક અને તેમના ૨૪ વર્ષીય પુત્ર મુસ્તાકભાઇ કરીમભાઇ માણેકની ધરપકડ કરી છે. મોરબી સીટી ‘એ’ ડિવિઝન પોલીસે બંને આરોપીઓ સામે બી.એન.એસ. કલમ ૩૦૫(એ) અને ૩૩૧(૪) હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.






