રવીરાજ ચોકડી પાસે અકસ્માત સર્જી અજાણ્યો વાહનચાલક ફરાર: તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી.
મોરબીના લક્ષ્મીનગર ગામથી મોરબી તરફ બાઈક પર જઈ રહેલા બે મિત્રોને અજાણ્યા વાહને હડફેટે લેતા બંનેના મોત નીપજ્યા હતા. અકસ્માત સર્જી અજાણ્યો વાહનચાલક પોતાનું વાહન લઈને ફરાર થઈ ગયો હતો. હાલ મૃતક બાઈક ચાલકના ભાઈની ફરિયાદને આધારે તાલુકા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી તાલુકાના લક્ષ્મીનગર નજીક રવીરાજ ચોકડી પાસે પૃથ્વી સ્ટોન કારખાના સામે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં મોરબી તાલુકાના લક્ષ્મીનગર ગામના કરણભાઈ ભરતભાઈ ડાભી ઉવ.૧૯ બાઈક રજી.નં. જીજે-૩૬-બીસી-૭૫૬૬ ચલાવી રહ્યા હતા અને તેમની પાછળ તેનો મિત્ર વિપુલભાઈ મહેશભાઈ રાવળદેવ ઉવ.૨૪ રહે.શિવ સાઇ સિરામીક કારખાનામા ભરતનગર ગામ તા.જી. મોરબી મુળ રહે. ગામ કોંઢ તા.ધ્રાગધ્રા જી. સુરેન્દ્રનગરવાળા બેઠા હતા. આ દરમિયાન અજાણ્યા વાહનચાલકે બેફામ અને ગફલતભરી રીતે વાહન હંકારી બાઈકને હડફેટે લેતા બંનેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. બંનેને સારવાર માટે મોરબી સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં ફરજ પરના તબીબે બંનેને મૃત જાહેર કર્યા હતા. અકસ્માત સર્જી અજાણ્યો વાહનચાલક વાહન સાથે ફરાર થઈ ગયો હતો. બનાવ અંગે કરણભાઈના ભાઈ સાવનભાઈ ડાભીએ ફરિયાદ નોંધાવતા મોરબી તાલુકા પોલીસે આરોપી અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.






