મોરબી સહિત સૌરાષ્ટ્રભરમાં માવઠાની આગાહી વચ્ચે ગઈકાલથી જ વાદળછાયું વાતાવરણ છવાયું હતું. જેમાં મોરબી શહેર સહિત હળવદ, ટંકારાના ગ્રામ્ય વિસ્તાર, માળીયા તાલુકાના રણકાંઠામાં ગામો જેમાં વેજલપર, ખાખરેચી, વેણાસર, જુના ઘાટીલા અને સુલતાનપુર સહિતના વિસ્તારોમાં હળવા છાંટા વરસ્યા હતા.
હવામાન વિભાગની આગાહી પગલે ગતરાત્રે મોરબી સહિત ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદે કહેર વરસાવવાનું શરૂ કર્યું હતું. જેને લઈને આજ વહેલી સવારમાં પણ વરસાદથી માહોલ જામતા વાતાવરણ ટાઢુંબોળ થયું હતું. મોરબીમાં વાદળ છાયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ છવાતા ઝાકળ અને વરસાદ બન્ને એક સાથે જોવા મળ્યા હતા.
બીજી તરફ જિલ્લાભરમાં પણ માવઠાએ મોકાણ સર્જી છે જેમાં હળવદમાં ગત મોડી રાત્રિથી માવઠું મંડાયું હતું. ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ અને રણકાંઠા વિસ્તારમાં છુટા છવાયા વરસાદથી પાક નિષફળ જવાની ભીતિ વચ્ચે ખેડૂતોમાં ભારે ઉપાધિના વાદળો ઘેરાયા હતા.
આ ઉપરાંત ટંકારાના ગ્રામ્ય વિસ્તાર તથા માળીયા તાલુકાના રણકાંઠામાં ગામો જેમાં વેજલપર, ખાખરેચી, વેણાસર, જુના ઘાટીલા અને સુલતાનપુર સહિતના વિસ્તારોમાં છુટા છવાયો વરસાદ ખાબકયો છે.
માવઠાના ઝેરી વરસાદથી રાયડો,એરંડા સહિતના પાક અને સૌથી વધુ નુકસાની જીરુંના પાકને થવાની ભીતિ વર્તાઈ રહી છે. આ ઉપરાંત માલધારીઓના પશુ માટેના મોટા ભાવનો ચારો ખેતર વચ્ચે પડ્યો હોવાથી કમોસમી વરસાદના કારણે ચારો પણ બગડતા ખેડૂતો-માલધારીઓમાં ચિંતા ફેલાઈ છે.