મોરબીમાં ક્લોક મેન્યુફેક્ચરિંગ એલાઇન્સ દ્વારા ચાઇનાની પ્રોડક્ટ બંધ કરીને સ્વેદશી વસ્તુઓને પ્રોત્સાહન આપવા માટેના બોયકોટ ચાઇના ઝુંબેશ હેઠળ આજે ચાઇનાની પ્રોડક્ટ સામે ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
ક્લોક મેન્યુફેક્ચરિંગ એલાઇન્સના નેજા હેઠળ જાણીતા ઓરેવા ગ્રુપના જયસુખભાઈ પટેલની આગેવાનીમાં ૧૩૦ જેટલા ઉધોગકારો દ્વારા સ્કાયમોલ ખાતે ચાઇનાના રમકડાંને સળગાવીને બોયકોટ ચાઇનાના નારા લગાવીને ઉગ્ર દેખાવો કરવામાં આવ્યા હતા. આ વિરોધ પ્રદર્શનમાં ઓરેવા ગ્રુપના જયસુખભાઈ પટેલ, ચિંતનભાઈ પટેલ, એલિસબેન પટેલ, દિપકભાઇ પારેખ તેમજ મોરબીના ઉદ્યોગકાર રમેશભાઈ(સોલાર ક્લોક) તથા મોરબી ક્લોક મેન્યુફેક્ચરિંગ એલાઇન્સના સભ્યો જોડાયા હતા. અને આ ઉધોગકારોએ ચાઇનાની પ્રોડક્ટનો વિરોધ કરીને સરકાર સમક્ષ ચાઇનાથી ભારતમાં આવતી ગેરકાયદે પ્રોડક્ટને બંધ કરાવી સ્થાનિક ઉધોગકારોને પ્રોત્સાહન કરવાની માંગ કરી હતી.

આ તકે ઓરેવા ગ્રુપના જયસુખભાઈ પટેલે જણાવ્યું હતું કે, અમારી સરકાર સમક્ષ માંગણી છે કે, ચાઇનાથી જે પ્રોડક્ટ ભારતમાં ગેરકાયદે આવે છે તે ચાઇના પ્રોડક્ટને બંધ કરવામાં આવે અને જો ચાઇનાની વસ્તુઓ બંધ કરવામાં આવે તો જ સ્થાનિક ઉધોગકારોને આત્મનિર્ભર બનાવવામાં પ્રોત્સાહન મળશે અને નાના નાના લોકોને રોજગારી મળશે. કારણ કે, ચાઇનાથી જે વસ્તુઓ આવે છે તેના કરતાં ભારતની વસ્તુઓ 20 ટકા મોંઘી હોય છે. ચાઇનાથી ટેક્સ ચોરી કરીને ગેરકાયદે વસ્તુઓને ભારતમાં ઘુસાડવામાં આવે છે. એટલે ભારતની વસ્તુઓ કરતા ચાઇનાની વસ્તુઓ પ્રમાણમાં સસ્તી મળે છે. પણ ભારતમાં ઉધોગો ટેક્સ ચૂકવતા હોય અને ચાઇના કરતા પણ અહીંની પ્રોડક્ટ ગુણવત્તાવાળી હોવાથી થોડી મોંઘી રહે છે. પણ ચાઇનાની વસ્તુઓ સસ્તી હોવાથી ભારતની વસ્તુઓ ઘરઆંગણે જ પાછી પડે છે. તેથી ચાઇનાની ગેરકાયદે વસ્તુઓ બંધ કરે તેવી માંગ કરી છે.









