હળવદ તાલુકાના કવાડિયા ગામના પાટિયા નજીક ટ્રેક્ટર ચાલકે કોઈપણ સિગ્નલ કે ઇશારો કર્યા વગર અચાનક સાઇડ બદલી એસટી બસ સાથે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ટ્રેક્ટર ચાલકને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે એસટી બસના ચાલકની ફરિયાદને આધારે પોલીસે મૃતક ટ્રેકટર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
હળવદ તાલુકાના કવાડિયા ગામ નજીક થયેલા અકસ્માતમાં ટ્રેક્ટર ચાલકનું મોત નીપજ્યું હતું. મળતી માહિતી મુજબ, છોટાઉદેપુરથી ટંકારા તરફ જઈ રહેલી એસ.ટી. બસ રજી.નં. જીજે-૧૮-ઝેડ-૯૫૦૭ કવાડિયા પાટિયા પાસેથી પસાર થતી હતી ત્યારે આગળ જતા ટ્રેક્ટર ચાલકે કોઈપણ સિગ્નલ કે ઇશારો કર્યા વગર અચાનક બસની સાઇડમાં કાવું માર્યું હતું. આ દરમિયાન ટ્રોલીનો પાછળનો ભાગ બસ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. ત્યારે આ અકસ્માતમાં ટ્રેક્ટર ચાલક દિનેશભાઈ લાલજીભાઈ કોળી રહે. બાઈસાબગઢ તા.ધ્રાંગધ્રા વાળા નીચે પડી જતા તેમને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. તાત્કાલિક તેઓને ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે ખસેડવામાં આવ્યા ત્યાં તેમનું મોત થયું હતું.
સમગ્ર અકસ્માતના આ બનાવ અંગે એસ.ટી. ડ્રાઈવર મહેન્દ્રભાઈ અર્જુનભાઈ બારીયા રહે. બામરોલી તા. સહેરા જી.પંચમહાલ વાળાની ફરિયાદ પરથી મૃતક ટ્રેક્ટરના ચાલક સામે ભારતીય ન્યાય સંહિતા તેમજ એમ.વી. એક્ટ કલમ હેઠળ ગુનો દાખલ કરી હળવદ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.





