NEET પરીક્ષાની અનિશ્ચિત પરિસ્થિતિ વચ્ચે વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ જળવાઈ રહે તે હેતુથી નવયુગ સાયન્સ સ્કૂલ અને જ્ઞાનમંજરી દ્વારા રાજકોટના જાણીતા કાઉન્સેલર પ્રતીક કચ્છડિયા સરના માર્ગદર્શન હેઠળ મોટિવેશનલ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. સેમિનારમાં વિદ્યાર્થીઓને નવી તૈયારી અને નવા ઉત્સાહ સાથે આગળ વધવા પ્રેરણા આપવામાં આવી હતી.
હાલની NEET પરીક્ષાને લઈ વિદ્યાર્થીઓમાં સર્જાયેલી વિકટ અને સંકટમય પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નવયુગ સાયન્સ સ્કૂલ અને જ્ઞાનમંજરી દ્વારા વિશેષ મોટિવેશનલ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટના બેસ્ટ કાઉન્સેલર પ્રતીક કચ્છડિયા સરે વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે આ સમય આફતનો નહીં પરંતુ નવા અવસરનો છે અને આ વિરામ નહીં પરંતુ વિજય માટેની તૈયારીનો સમય છે. સેમિનારમાં વિવિધ ઉદાહરણો દ્વારા વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ જગાવી ફરથી પરીક્ષા માટે સકારાત્મક અભિગમ અપનાવવા પ્રેરણા આપવામાં આવી હતી. સાથે જ વિદ્યાર્થીઓને નવી સુવર્ણ તક, નવી તૈયારી અને નવા ઉત્સાહ સાથે મનગમતી મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવી એમબીબીએસનું સ્વપ્ન સાકાર કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
અંતમાં, પ્રતીક કચ્છડિયા સરે સંસ્થાની કામગીરીની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે અભ્યાસ પૂર્ણ થયા બાદ પણ વિદ્યાર્થીઓની ચિંતા કરતી આવી સંસ્થા મળવી એ વિદ્યાર્થીઓ માટે સદભાગ્યની વાત છે. સેમિનાર બાદ વિદ્યાર્થીઓમાં નવી ચેતના અને ઉત્સાહનો સંચાર જોવા મળ્યો હતો અને વિદ્યાર્થીઓ નવા જોમ સાથે તૈયારીમાં જોડાઈ જશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. આ પ્રસંગે નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના સુપ્રિમો પી.ડી. કાંજીયા સરે પણ તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.






