ટંકારા તાલુકાના સરાયા ગામે પત્નીને અન્ય સાથે આડા સંબંધ હોવાની શંકા રાખી પતિએ ઇંટ વડે હુમલો કરી હત્યા કરી હોવાનો બનાવ સામે આવ્યો છે. બનાવ બાદ આરોપીએ ઝેરી દવા પી લેતા તેને પણ સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.
ટંકારા તાલુકાના સરાયા ગામની સીમમાં આવેલી વાડીમાં રહેતા મૂળ મધ્યપ્રદેશના ધાર જીલ્લાના રિંગનોડના વતની ખેતમજૂર દંપતી વચ્ચેનો પારિવારિક વિવાદ હત્યામાં પરિણમ્યો હતો. ફરિયાદ મુજબ લક્ષ્મણભાઈ રેવસીભાઈ કતિજા અને તેની પત્ની તથા સંતાનો સાથે છેલ્લા ત્રણ વર્ષથી સરાયા ગણે અનિલભાઈ પટેલની વાડીમાં ખેતમજૂરી કરે છે. આરોપી લક્ષ્મણભાઈ પોતાની પત્ની રુકમાબેન પર અન્ય વ્યક્તિ સાથે આડા સંબંધ હોવાની શંકા રાખતા હતા અને તે બાબતને લઈને દંપતી વચ્ચે અવારનવાર મનદુઃખ ચાલતું હતું.
તે દરમિયાન ગઈકાલ રા.૨૧/૦૫ના રોજ સવારે વાડીના માલિક અનીલભાઈ જશમતભાઈ ઢેઢીને તેમના કાકાનો ફોન આવ્યો હતો કે વાડીમાં કામ કરતી રુકમાબેનનું મોત થયું છે. તેઓ તાત્કાલિક વાડીએ પહોંચતા ઓરડી નજીક ગોદડું ઢાંકેલી હાલતમાં રુકમાબેનની લાશ પડી હતી. ગોદડું હટાવી જોતા માથા અને કપાળના ભાગે ગંભીર ઈજાઓ જોવા મળી હતી તેમજ નજીકમાં લોહી લાગેલી ઇંટ પણ પડી હતી. બનાવ અંગે પૂછતાં આરોપી લક્ષ્મણભાઈએ પોતાની પત્નીને અન્ય સાથે સંબંધ હોવાની શંકા હોવાને કારણે ઇંટ વડે માર માર્યો હોવાનું કબૂલ્યું હતું. બાદમાં રુકમાબેનની લાશને પોસ્ટમોર્ટમ માટે ટંકારા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.
બનાવ બાદ આરોપી લક્ષ્મણભાઈએ પણ ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. હાલ ટંકારા પોલીસે વાડી માલીક અનિલભાઈની ફરિયાદને આધારે આરોપી લક્ષ્મણભાઈ રેવસીભાઈ કતિજા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૦૩(૧) તથા ગુજરાત પોલીસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.






