અગાઉ મંદિર ચોરીમાં ઝડપાયેલા કિશન જાની વિરુદ્ધ વધુ એક ગુનો નોંધાયો: આશરે રૂ.૪૦ હજારના ચાંદીના છત્તર ચોરાયા અંગે ફરિયાદ.
હળવદના લક્ષ્મીનારાયણ ચોક ખાતે આવેલા મામાદેવ મંદિરમાંથી ચાંદીના ૧૫ નાના-નાના છત્તરની ચોરી થયાની ફરિયાદ નોંધાઈ છે. અગાઉ મંદિર ચોરીના ગુનામાં ઝડપાયેલા કિશન જાની વિરુદ્ધ આ મામલે વધુ એક ગુનો નોંધાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પકડાયેલ આરોપીએ ઉપરોક્ત ચોરીની મોરબી પોલીસ સમક્ષ પણ કબુલાત આપી હતી.
હળવદના પારેખ ફળી વિસ્તારમાં રહેતા કાપડની દુકાન ધરાવતા અને મામાદેવ મંદિરની સેવા-પૂજા કરતા સતિષભાઈ નંદલાલભાઈ ગોહેલ ઉવ.૪૯એ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે, ગત તા.૦૮ થી ૦૯ મે દરમિયાન રાત્રિના સમયે લક્ષ્મીનારાયણ ચોક ખાતે આવેલા મામાદેવ મંદિરમાંથી આશરે ૨૦૦ ગ્રામ વજનના ચાંદીના નાના-નાના છત્તર નંગ-૧૫ કિ.રૂ.૪૦ હજારની ચોરી થઈ હતી. જે બાદમાં સોશિયલ મીડિયામાં આવેલા સમાચાર પરથી જાણવા મળ્યું કે, મોરબી એલસીબીએ મંદિર ચોરીમાં ઝડપેલા કિશન સુરેશભાઈ જાની રહે. રવાપર ગામ બોનીપાર્ક શેરી નં.૭ મોરબી વાળાનું નામ સામે આવતા ફરિયાદ નોંધાવવામાં આવી હતી. હાલ હળવદ પોલીસે આરોપી સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૦૫(ડી) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.






