અકસ્માત બાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવારમાં મૃત્યુ નિપજતા તાલુકા પોલીસે મૃતક રિક્ષા ચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો.
મોરબી-વાંકાનેર હાઇવેના સર્વિસ રોડ પર લાલપરના જૂના સ્મશાન સામે સર્વિસ રોડ ઉપર રોડ સાઈડમાં બંધ પડેલા આઈશર ટ્રક પાછળ સીએનજી રિક્ષા ઘૂસી જતાં રિક્ષાચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ત્યારે પ્રાથમિક સારવાર બાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે રીફર કરેલ યુવકનું ચાલુ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
મોરબીના સો ઓરડી વિસ્તારમાં રહેતા ૩૮ વર્ષીય વિજયભાઈ મુળજીભાઈ મુછડીયા ગત ૨૩ જૂને સવારે પોતાની સીએનજી રિક્ષા રજી.નં. જીજે-૩૬-યુ-૧૯૫૨ લઈને ફેરા કરવા નીકળ્યા હતા. ત્યારે સવારના અંદાજે ૯:૩૦ વાગ્યાના અરસામાં લાલપરના જૂના સ્મશાન સામે સર્વિસ રોડ પર રોડની બાજુમાં બંધ પડેલા આઈશર ટ્રક નં.જીજે-૩૬-વી-૮૫૪૪ ની પાછળ તેમની રિક્ષા ધડાકાભેર અથડાઈ હતી. જે અકસ્માતમાં વિજયભાઈને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમને પ્રથમ સમર્પણ હોસ્પિટલ અને બાદમાં વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન ગત ૨૭ જૂનના રોજ તેમનું મોત નીપજ્યું હતું. હાલ અકસ્માતના બનાવની મૃતકના નાનાભાઈની ફરિયાદને લઈને મૃતક રીક્ષા ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તાલુકા પોલીસે આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.






