મોરબી જીલ્લામાં એક જ દિવસ દરમિયાન અલગ અલગ પોલીસ મથકોમાં છ અપમૃત્યુના બનાવ નોંધાયા છે. તેમાં બે વ્યક્તિઓએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, બેના પાણીમાં ડૂબી જવાથી મોત થયા, એક વ્યક્તિનું હોસ્પિટલ પરિસરમાં અગમ્ય કારણોસર મોત થયું અને એક વૃદ્ધનું બીમારી સબબ સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. મૃત્યુના તમામ બનાવોમાં મોરબી પોલીસે અ.મોતની નોંધ કરી આગળની તપાસ શરૂ કરી છે.
મોરબી જીલ્લામાં ગત તા.૦૨/૦૮ના રોજ અપમૃત્યુના બનાવોની હારમાળા સર્જાતા ચકચાર મચી છે. જેમાં મોરબી શહેરના કબીર ટેકરી વિસ્તારમાં રહેતા ૫૫ વર્ષીય જયેશભાઈ રસીકલાલ જાદવ સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં લેબોરેટરી પાસે ઓટલા ઉપર મૃત હાલતમાં મળી આવ્યા હતા. જ્યારે મોરબી-૨ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં એલ-૫૭માં રામેશ્વર મંદિર સામે રહેતા ૬૪ વર્ષીય નવુભા દાનુભા રાઠોડનું ઘરે તબિયત બગડતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું.
અપમૃત્યુના ત્રીજા બનાવમાં મોરબી તાલુકાના રવાપર નદી વિસ્તારમાં આવેલી હોલીવુડ પ્લાયની લેબર કોલોનીમાં રહેતા ૪૬ વર્ષીય સીકોતરભાઈ લક્ષ્મીરામ ટુંડુએ કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. ચોથા અપમૃત્યુ અંગેની વિગતો મુજબ, બેલા ગામ નજીક સ્કાયમેક્ષ સિરામિક પાવર સ્ટેશન પાસેની નદીમાં નાહવા ગયેલા ૨૪ વર્ષીય નારૂ રમાય હેમ્બ્રમનું પાણીમાં ડૂબી જવાથી તેને મરણ હાલતમાં મોરબી સરકારી હોસ્પિટલ ખાતે લાવતા તેને ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો.
આ ઉપરાંત ટંકારા તાલુકાના વિરપર ગામે દ્વારકાધીશ હોટલ ઉપરના રૂમમાં રહેતા મૂળ મલારીયા ગામ જી.ઉદેપુર રાજસ્થાનના ૨૧ વર્ષીય દોલારામ નાથુલાલ ગમેતીએ કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. જ્યારે અપમૃત્યુના છઠ્ઠા બનાવ અંગેની પ્રાપ્ત વિગત મુજબ, માળીયા(મી) તાલુકાના જૂના ઘાટીલા ગામે ગત તા.૦૧/૦૮ના રોજ ચાલુ વરસાદ દરમિયાન ઢોર ચરાવવા ગયેલા ૪૭ વર્ષીય ગેલાભાઈ નોંઘાભાઈ હાડગરા પોતાના ગામની સીમમા આવેલ દેરીયાળાના નાળા પાસે ગયેલ ત્યા બાજુમા પાણીનો હોકળો આવેલ તે પાણીમા તણાતા પાણીમા ડુબી જતા તેમનું મોત નિપજ્યું હતું.






