મોરબી: મોરબીના ધરમપુર ગામ પાસે લગભગ છ મહિના પહેલા 112 જનરક્ષક (PCR) વાન દ્વારા સર્જાયેલા ગંભીર અકસ્માત મામલે જિલ્લા પોલીસ વડા મુકેશ પટેલ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. અકસ્માત સમયે નશાની હાલતમાં સરકારી વાહન ચલાવનાર પોલીસ કોન્સ્ટેબલ અજય લાવડિયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
અંગે મળતી વિગતો મુજબ અકસ્માત બાદ લેવામાં આવેલા નમૂનાઓના FSL રિપોર્ટમાં પોલીસ કોન્સ્ટેબલ નશાની હાલતમાં હોવાનું સામે આવતા જિલ્લા પોલીસ વડા મુકેશ પટેલે તેમની સામે સસ્પેન્શનની કાર્યવાહી કરી છે. ઉલ્લેખનીય છે કે, ગત જાન્યુઆરી મહિનામાં મોરબીના ધરમપુર રોડ પર 112 જનરક્ષક વાન બેફામ રીતે દોડી એક રિક્ષા અને ત્યારબાદ એક ઇકો કારને અડફેટે લીધી હતી. અકસ્માતમાં રિક્ષામાં સવાર પાંચ લોકો સહિત કુલ અનેક લોકોને ઇજાઓ પહોંચી હતી, જ્યારે સરકારી વાનનો ચાલક પણ ઇજાગ્રસ્ત થયો હતો. તે સમયે જ સ્થાનિકોએ ચાલક નશાની હાલતમાં હોવાની શંકા વ્યક્ત કરી હતી. ઘટના બાદ સમગ્ર મામલાની તપાસ હાથ ધરવામાં આવી હતી અને FSL રિપોર્ટ આવ્યા બાદ પોલીસ વિભાગે કડક વલણ અપનાવી પોલીસ કોન્સ્ટેબલ અજય લાવડિયાને સસ્પેન્ડ કરી દીધા છે.
મોરબી એસપી મુકેશ પટેલની આ કાર્યવાહી બાદ પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ છે. સરકારી ફરજ દરમિયાન બેદરકારી અને નશાની હાલતમાં વાહન હંકારી અકસ્માત સર્જનાર કર્મચારીઓ સામે પોલીસ વિભાગે શૂન્ય સહનશીલતાનું વલણ અપનાવ્યાનો સ્પષ્ટ સંદેશ પણ આ કાર્યવાહીથી મળ્યો છે.






