અમદાવાદ/નવસારી: ગુજરાતમાં મીડિયા અને RTIના નામે તોડબાજી કરવાના આરોપોને લઈને એન્ટી કરપ્શન બ્યૂરો (ACB) દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. નવજીવનના અહેવાલ મુજબ છેલ્લા પાંચ દિવસમાં ACBએ બે અલગ-અલગ લાંચના કેસમાં અમદાવાદના દંપતી સહિત ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા છે.
*અમદાવાદમાં 3.15 લાખની લાંચ લેતા દંપતી ઝડપાયું*
19 ઓગસ્ટના રોજ અમદાવાદના ઓઢવ સોનીની ચાલી ચાર રસ્તા નજીક ACBની ટીમે વિજય ડાહ્યાભાઈ આહીર અને તેમની પત્ની શિલ્પાબહેનને રૂ.3.15 લાખની લાંચ લેતા ઝડપી પાડ્યા હતા.
અહેવાલ મુજબ વિજય આહીર ‘નવજીવન ક્રાઈમ અધિકાર ન્યૂઝ’ નામે અખબાર ચલાવતા હોવાનું જણાવાયું છે. પૂર્વ અમદાવાદમાં ગેરકાયદેસર બાંધકામ અંગે AMCની નોટિસ બાદ બાંધકામ તોડી પાડવાની ધમકી આપી અધિકારી પાસેથી રૂ.3.25 લાખની માંગણી કરવામાં આવી હોવાનો આરોપ છે. જેમાંથી રૂ.10 હજાર અગાઉ ચૂકવાઈ ચૂક્યા હતા અને બાકીના રૂ.3.15 લાખ લેવા દંપતી પહોંચ્યું ત્યારે ACBએ ટ્રેપ ગોઠવી ધરપકડ કરી હતી.
*નવસારીમાં RTI બાદ રૂ.51 હજારની લાંચનો આરોપ*
બીજી કાર્યવાહી નવસારીમાં 24 ઓગસ્ટે કરવામાં આવી હતી. ACBએ ‘રુદ્ર સંદેશ પ્રેસ’ સાથે સંકળાયેલા સતશંકર રામચરિત્ર મિશ્રા ઉર્ફે મુન્નાભાઈને રૂ.51 હજારની લાંચ લેતા ઝડપી પાડ્યા હતા.અહેવાલ પ્રમાણે સતશંકર મિશ્રાએ સરકારી કામોમાં ભ્રષ્ટાચાર થયો હોવાના સમાચાર પ્રકાશિત કર્યા બાદ સંબંધિત સરકારી કામોના રેકોર્ડની તપાસ માટે RTI અરજી કરી હતી. ત્યારબાદ સમાચાર પ્રકાશિત નહીં કરવા બદલ રૂ.51 હજારની માંગણી કરાઈ હોવાનો આરોપ છે. ફરિયાદ મળ્યા બાદ ACBએ ટ્રેપ ગોઠવી નવસારી ગ્રીડ ચાર રસ્તા પાસેની સરોવર કાઠીયાવાડી હોટેલમાંથી તેમની ધરપકડ કરી હતી.
ACBની કાર્યવાહીથી મીડિયા અને RTI એક્ટિવિસ્ટ બની તોડબાજી કરનારાને કડક સંદેશ
મીડિયા કે RTIનો ઉપયોગ કરીને કોઈ વ્યક્તિ પાસેથી ગેરકાયદેસર રીતે નાણાંની માંગણી કરવામાં આવે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે. તાજેતરની આ બંને ACB કાર્યવાહીએ આવા કિસ્સાઓમાં તંત્રની સક્રિયતા સામે આવી છે.






