પાંચ શખ્સો સામે ફરિયાદ: હુમલામાં ત્રણેય બાપ-દીકરાને ઈજા, બેને માથામાં ટાંકા અને એકને હાથમાં ફ્રેક્ચર.
વાંકાનેર તાલુકાના કણકોટ ગામે યુવતીને ભગાડી લઈ જવાના જૂના મનદુઃખમાં પાંચ શખ્સોએ ધારીયા અને લોખંડના પાઇપ વડે બાપ-દીકરા સહિત ત્રણ વ્યક્તિ પર હુમલો કર્યાની ફરિયાદ નોંધાઈ છે. હુમલામાં ત્રણેયને ઈજાઓ થતાં પ્રથમ વાંકાનેર અને બાદમાં રાજકોટ સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા.
મળતી વિગતો મુજબ, કણકોટ ગામમાં રહેતા નિલેશભાઈ અરવિંદભાઈ મકવાણા ઉવ.૨૩એ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમની બહેન અસ્મીતાએ આશરે એક વર્ષ અગાઉ રાજકોટના ગોવિંદભાઈ સરવૈયા સાથે પ્રેમલગ્ન કર્યા હતા. ત્યારે અસ્મીતાને ભગાડી લઈ ગયેલ ગોવિંદભાઇના મામા જીવરાજભાઈ નાથાભાઈ સારદીયા કે જેઓ કણકોટ ગામમાં જ રહેતા હોય તેની સાથે મનદુઃખ ચાલતું હતું. તે દરમિયાન ગઈકાલ તા.૨૮/૦૮ના રોજ કણકોટ ગામના ચોરા પાસે ફરિયાદી નિલેશભાઈ અને તેમના ભાઈ પંકજભાઈ પહોંચતા આરોપી જીવરાજભાઈ નાથાભાઈ સારદીયા, રમેશભાઈ નાથાભાઈ સારદીયા, અલ્પેશ ઉર્ફે કિશનભાઈ રમેશભાઈ સારદીયા, જયરાજભાઈ જીવરાજભાઈ સારદીયા અને હાર્દીકભાઈ જીવરાજભાઈ સારદીયા સહિતના વ્યક્તિઓએ હાથમાં ધારીયું તથા લોખંડના પાઇપ લઈને બંને ભાઈઓ પર તૂટી પડ્યા હતા. આ દરમિયાન ફરિયાદી નિલેશભાઈના પિતા આવતા તેને પણ બેફામ માર મારવામાં આવ્યો હતો.
હુમલામાં નિલેશભાઈને માથામાં છ ટાંકા, પંકજભાઈને માથામાં ત્રણ ટાંકા, જ્યારે તેમના પિતા અરવિંદભાઈને માથામાં ઈજા તથા હાથમાં ફ્રેક્ચર થયું હતું. ત્રણેય ઇજાગ્રસ્તોને ૧૦૮ મારફતે વાંકાનેર સરકારી હોસ્પિટલમાં લઈ જવાયા બાદ વધુ સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલમાં રિફર કરાયા હતા. હાલ વાંકાનેર તાલુકા પોલીસે પાંચેય આરોપીઓ વિરુદ્ધ બીએનએસ તથા જીપી એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.






