રસનાળ ગામના ૪૫ વર્ષીય બાઇક ચાલકે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડ્યો, કાર ચાલક સામે ગુનો નોંધાયો.
ટંકારા તાલુકાના ઘુનડા(ખા) ગામ નજીક કાર અને બાઇક વચ્ચે સર્જાયેલા ગંભીર અકસ્માતમાં જામનગર જીલ્લાના રસનાળ ગામના આધેડનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. અકસ્માત બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ત્રણ દિવસની ટૂંકી સારવાર બાદ આધેડે દમ તોડતા ટંકારા પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.
ટંકારા તાલુકાના ઘુનડા(ખા) ગામથી રસનાળ જવાના માર્ગ ઉપર ગત ૫ જૂનના રોજ કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં જામનગર જીલ્લાના જોડીયા તાલુકાના રસનાળ ગામના ઉમેશભાઈ ભગવાનજીભાઈ વડગામા ઉવ.૪૫ને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમને તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં લાવતા, ત્રણ દિવસની સારવારના અંતે ગત તા.૮ જુનના રોજ ઉમેશભાઈનું મૃત્યુ નીપજ્યું હતું. હાલ મૃતકના ભાઈ રાજેશભાઈ વડગામાની ફરિયાદના આધારે પોલીસે કાર રજી.નં. જીજે-૦૩-એનએફ-૭૯૭૫ના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






