સર્કિટ હાઉસ થી મહારાણા પ્રતાપ સર્કલ સુધીના વિસ્તારોમાંથી મોટા જથ્થામાં કચરા-પ્લાસ્ટિક વેસ્ટનો કરાયો નિકાલ
ભારત સરકાર દ્વારા ૨જી ઓક્ટોબરના રોજ મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિની શ્રદ્ધાંજલિ આપવા સમગ્ર ભારતમાં સ્વચ્છતા માટેના જન આંદોલનની ઉજવણીનું આહવાન કરવામાં આવેલ છે. તે અનુસંધાને મોરબી મહાનગરપાલિકા દ્વારા “સ્વચ્છતા હી સેવા-૨૦૨૬” અંતગર્ત સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.
આ સફાઈ ઝુંબેશ અંતર્ગત ખાસ કરીને સર્કિટ હાઉસ થી મહારાણા પ્રતાપ સર્કલ સુધીના વિસ્તાર તેમજ મુખ્ય માર્ગોની સફાઈ અને રોડ પરથી પ્લાસ્ટિક વેસ્ટ એકત્રિત કરવાની વિશેષ ઝુંબેશ હાથ ધરાઈ હતી. ફૂટપાથની સફાઈ તેમજ મુખ્ય રોડ ની સાઈડ પરના વૃક્ષોની કટીંગ કામગીરી કરવામાં આવી. સમગ્ર કામગીરી દરમિયાન સ્થળ પરથી મોટા જથ્થામાં એકત્ર થયેલ પ્લાસ્ટિક વેસ્ટ તેમજ કચરાનો તાત્કાલિક ધોરણે ઉપાડ કરી તેનો યોગ્ય નિકાલ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે રાજ્યકક્ષાના માન. મંત્રી કાંતિલાલ અમૃતિયા, માન. મેયર ઉત્તમભાઈ સુરાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયંતીભાઈ પડસુંબીયા, કમિશનર સંગીતા રૈયાણી-I.A.S, મેઘરાજસિંહ ઝાલા- ચેરમેન SWM શાખા, તેમજ વિવિધ પદાધિકારીઓ અને મહાનગરપાલિકા શાખાધિકારીઓ તેમજ કર્મચારીઓ તથા Cleanup Morbi Team, અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
ઉપસ્થિત મહાનુભાવો દ્વારા સ્થળ પર ચાલી રહેલી સફાઈ કામગીરીમાં જનભાગીદારી નોંધાવી અને સફાઈ વ્યવસ્થામાં સૌ જોડાયા હતા તેમજ ફિલ્ડમાં કાર્યરત સફાઈ કર્મચારીઓનો ઉત્સાહ વધાર્યો હતો.
મોરબી મહાનગરપાલિકા દ્વારા અપીલ કરવામાં આવી છે કે શહેરના તમામ નાગરિકો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળે, જાહેરમાં કચરો ફેંકવાને બદલે નિયત કચરાપેટી અથવા ડોર-ટુ-ડોર કલેક્શન વાહનમાં જ આપે અને મોરબીને સ્વચ્છ, સુંદર તથા કચરામુક્ત બનાવવામાં સહયોગ આપે.






