રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે સજા ભોગવી રહેલા પાકા કામના કેદીને પેરોલ રજા મળ્યા બાદ નિયત તારીખે જેલ ખાતે પરત હાજર ન થતાં ફરાર થયેલા કેદીને રાજકોટ રેન્જ ટીમે સુરેન્દ્રનગર ખાતેથી ઝડપી પાડ્યો છે.
રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય (IPS)ની સૂચનાથી રાજકોટ રેન્જ વિસ્તારમાં નાસતા-ફરતા આરોપીઓ તેમજ પેરોલ/ફર્લો જમ્પ કરનારા કેદીઓને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. રાજકોટ રેન્જના પોલીસ ઇન્સ્પેક્ટર એ.એસ. પટેલના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ પી.એન. મોરી, બી.સી. મિયાત્રા, સી.એમ. કાંટેલીયા, એ.વાય. ઉધાસ અને પી.સી. સરતેજા સહિતના સ્ટાફ દ્વારા હ્યુમન સોર્સ અને ટેકનિકલ એનાલિસિસના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી.
દરમિયાન મળેલી બાતમીના આધારે રાજકોટ મધ્યસ્થ જેલમાં સજા ભોગવી રહેલા ધર્મેશ રજનિકાંતભાઈ સોની, રહે. અલ્કા ચોક, રૂપાળી માતાના મંદિર પાસે, ન્યૂ જંકશન રોડ, સુરેન્દ્રનગર,ને શોધી કાઢવામાં આવ્યો હતો.ધર્મેશ સોની પેરોલ રજા પર ગયો હતો અને તેને 9 સપ્ટેમ્બર 2026ના રોજ રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે પરત હાજર થવાનું હતું, પરંતુ તે નિયત સમયે હાજર ન થતાં ફરાર થયો હતો.જે અંગે બાતમી મળતા રાજકોટ રેન્જ ટીમના યોગેન્દ્રસિંહ ચુડાસમા, ધર્મેન્દ્રસિંહ વાઘેલા, હિતેશભાઈ જોગરાણા, અજયવીરસિંહ ઝાલા, દિલીપસિંહ સિંધવ અને રાજુભાઈ પઢેરિયાએ કાર્યવાહી કરી ધર્મેશ સોનીને સુરેન્દ્રનગર રિવરફ્રન્ટ નજીક આવેલા મેલડી માતાજીના મંદિર પાસેથી ઝડપી પાડ્યો હતો.ઝડપાયેલા કેદીને ધોરણસરની કાર્યવાહી બાદ સુરેન્દ્રનગર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો છે અને તેને રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે પરત હાજર કરાવવા માટેની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.






