પ્રજાના હિત અને કોંગ્રેસની વિચારધારાને જન-જન સુધી પહોંચાડવાના હેતુ સાથે જાહેર કરવામાં આવેલા ટંકારા શહેર કોંગ્રેસ સંગઠનને લઈને પક્ષમાં મોટો આંતરિક અસંતોષ સપાટી પર આવ્યો છે. મોરબી જિલ્લા અને ટંકારા તાલુકા કોંગ્રેસની કાર્યશૈલી સામે સ્થાનિક આગેવાનો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને પાયાના સક્રિય કાર્યકર્તાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
શહેર સંગઠનની જાહેરાત બાદ ટંકારા ખાતે પૂર્વ સદસ્યો, તાલુકા પંચાયત અને નગરપાલિકાના સભ્યો તેમજ વિવિધ સમાજના આગેવાનો સહ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ એકત્રિત થયા હતા. ઉપસ્થિત લોકોએ આક્ષેપ કર્યો હતો કે સંગઠનની રચનામાં એકતરફી નિર્ણયો લેવાયા છે, જૂથબંધીને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે અને વર્ષોથી નિષ્ઠાપૂર્વક કામ કરતા જૂના કાર્યકર્તાઓની તદ્દન અવગણના કરવામાં આવી છે. સ્થાનિક સ્તરે કાર્યકર્તાઓને વિશ્વાસમાં લીધા વગર જ નિર્ણયો લેવાયા હોવાનો અને દરેક સમાજને યોગ્ય પ્રતિનિધિત્વ ન મળ્યું હોવાનો સૂર ઊઠ્યો હતો.
સ્થાનિક નેતાગીરીથી નારાજ કાર્યકર્તાઓએ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખને તાત્કાલિક હસ્તક્ષેપ કરવા અપીલ કરી છે. તેઓએ માંગ કરી છે કે સ્થાનિક સ્તરે ફરીથી સાચી ‘સેન્સ’ લેવામાં આવે અને હોદ્દાની ફાળવણી સહિત સમગ્ર પ્રક્રિયાની નિષ્પક્ષ સમીક્ષા કરવામાં આવે. આ સાથે જ ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે જો આગામી દિવસોમાં આ મામલે યોગ્ય સુધારો કરવામાં નહીં આવે, તો ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને પાયાના કાર્યકર્તાઓ સામૂહિક રાજીનામાં આપશે. કાર્યકર્તાઓએ સ્પષ્ટ કર્યું હતું કે આ વિરોધ કોઈ વ્યક્તિગત સ્વાર્થ માટે નથી, પરંતુ કાર્યકર્તાના સન્માન, પારદર્શિતા અને કોંગ્રેસ પક્ષને મજબૂત બનાવવા માટે છે.
બીજી તરફ પક્ષના જવાબદાર સુત્રોમાંથી મળતી માહિતી મુજબ, સંગઠનમાં સક્ષમ અને સમાજના તમામ વર્ગોને સાથે રાખીને લોકસેવા કરી શકે તેવા ચહેરાઓની જ હોદ્દેદાર તરીકે પસંદગી કરવામાં આવી છે. હોદ્દાની વહેંચણી કરતી વખતે પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ અને રાજકીય શિસ્ત ભંગ જેવા વર્તનને પણ ધ્યાને રાખવામાં આવ્યા છે. પક્ષના આંતરિક વર્તુળોનું માનવું છે કે દરેક કાર્યકર્તા પ્રમુખ બનવાની ઈચ્છા ધરાવતો હોય અને પોતાની તાકાતના જોરે અન્યાયની લાગણી વ્યક્ત કરીને પક્ષ સામે જ ‘પંજો’ લડાવવાનો પ્રયાસ કરે તેનાથી સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે.






