કબાટનું લોક તોડી સોના-ચાંદીના દાગીના અને રૂ. હજાર રોકડ લઈ તસ્કર ફરાર
વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો. જ્યાં કબાટનું લોક તોડી સોના-ચાંદીના દાગીના તથા રૂ.૧૦ હજાર રોકડ મળી કુલ રૂ.૧.૬૦ લાખની માલમતા ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હોવા અંગેની વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.
ચોરી અંગેની પ્રાપ્ત વિગતો મુજબ, કોઠારિયા નવા પ્લોટ વિસ્તારમાં કુમાર શાળાની બાજુમાં રહેતા ઉસ્માનગનીભાઈ મહમદભાઈ માથકીયા ઉવ.૫૨ એ વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી કે, ગઈ તા.૨૪/૦૮ના રોજ સવારે તેઓ ખેતીકામ માટે વાડીમાં ગયા હતા. ત્યારબાદ તેમનો પુત્ર નોકરી પર ગયો હતો અને પત્ની તથા પુત્રી પણ વાડીએ આવ્યા ત્યારે સવારે આશરે ૯ વાગ્યે પુત્ર ઘરેથી તાળું મારી નોકરી પર ગયો હતો. જે બાદ બપોરે આશરે ૧૧.૪૫ વાગ્યે ફરિયાદીની પત્ની અને પુત્રી ઘરે પરત ફરતાં મકાનના દરવાજાનું તાળું તૂટેલું જોવા મળ્યું હતું.
જે બાદ ઘરમાં તપાસ કરતા રૂમમાં સામાન વેરવિખેર હતો અને કબાટનું લોક પણ તૂટેલું હતું. કબાટમાંથી સોનાનો હાંસડી હાર, સોનાની પોંચી, વીંટી, કાનના એરિંગ, સોનાની સેર સહિતના દાગીના તથા ચાંદીના સાંકળા અને વીંટી મળી આશરે રૂ.૧.૫૦ લાખના દાગીના તેમજ રૂ.૧૦ હજાર રોકડ મળી કુલ રૂ.૧.૬૦ લાખની માલમતા ચોરાઈ હોવાનું સામે આવ્યું હતું. હાલ વાંકાનેર તાલુકા પોલીસે આરોપી અજાણ્યા તસ્કર સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ હેઠળ ગુનો નોંધી અજાણ્યા તસ્કરની શોધખોળ શરૂ કરી છે.






