ટંકારા તાલુકાના અમરાપર(ટોળ) ગામ નજીક થયેલા માર્ગ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. જેમાં ટંકારા-અમરાપર રોડ પર રિક્ષાની ટક્કરથી મોટરસાયકલ ચાલકનું મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ રિક્ષાચાલક વાહન મૂકીને ફરાર થઈ ગયો હોવાનું સામે આવ્યું છે.
મળતી માહિતી અનુસાર, નવા અમરાપર ગામે રહેતા અરવિંદભાઈ છગનભાઈ મકવાણા ગત તા.૧૪/૦૫ના રોજ પોતાના મોટરસાયકલ નં. જીજે-૦૩-ડીબી-૮૯૫૯ લઈને ટંકારાથી અમરાપર તરફ જઈ રહ્યા હતા ત્યારે એચ.પી. પોલ્ટ્રી ફાર્મ નજીક અકસ્માત સર્જાયો હતો. ફરિયાદ મુજબ, આરોપી યાકુબભાઈ અલીભાઈ બાદી પોતાની રિક્ષા નં. જીજે-૦૩-બીયુ-૮૬૩૫ પુરપાટ ઝડપે અને બેફામ રીતે હંકારી અરવિંદભાઈના મોટરસાયકલ સાથે અથડાવી અકસ્માત સર્જ્યો હતો. અકસ્માતમાં અરવિંદભાઈને શરીર તથા માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું મોત નીપજ્યું હતું. જ્યારે અકસ્માત બાદ આરોપી રિક્ષા સ્થળ પર મૂકીને નાસી ગયો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. ઘટનાની જાણ થતાં ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ઇજાગ્રસ્તને ટંકારા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. ત્યારે અકસ્માતના બનાવ અંગે મૃતકના પત્ની કમળાબેન અરવિંદભાઈ મકવાણાની ફરિયાદના આધારે પોલીસે આરોપી રિક્ષા ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.






