મોરબી સીટી પોલીસ સ્ટેશનમાં વર્ષ 2011માં નોંધાયેલા સીમકાર્ડ કૌભાંડના કેસમાં નામદાર કોર્ટ દ્વારા પાંચેય આરોપીઓને શંકાનો લાભ આપીને છોડી મૂકવાનો નિર્ણય જાહેર કર્યો છે.
મળતી માહિતી મુજબ, વર્ષ 2011માં મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથક ખાતે મનીષભાઈ બાબુભાઈ સોરઠીયાએ ફરિયાદ નોંધાવી હતી કે તેમના નામે અને તેમની જાણ બહાર ચૂંટણી કાર્ડની ઝેરોક્સ નકલ તથા ફોટાનો ઉપયોગ કરીને ખોટા દસ્તાવેજોના આધારે એરસેલ કંપનીના સીમકાર્ડ એક્ટિવેટ કરવામાં આવ્યા હતા. આ મામલે પોલીસે હિતેષભાઈ પ્રભુભાઈ જાલરીયા, ચંદ્રેશ રામજીભાઈ બગથરીયા, ઇમરાન હસનભાઈ બોધાણી, જીતેન્દ્ર હસમુખભાઈ મહેતા અને હીરાલાલ લખમણભાઈ કંઝારીયા સામે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ કેસની ચાર્જશીટ અદાલતમાં રજૂ કરવામાં આવી હતી અને કેસ ફોજદારી કેસ નં. 822/2012 તરીકે ચાલી રહ્યો હતો. કેસની સુનાવણી દરમિયાન બચાવ પક્ષના વકીલોએ રજૂ કરેલી દલીલો અને ઉપલબ્ધ પુરાવાઓના આધારે અદાલતે આરોપીઓ વિરુદ્ધના આરોપો પુરવાર થતા ન હોવાનું નોંધ્યું હતું.આથી નામદાર કોર્ટ દ્વારા તમામ પાંચ આરોપીઓને શંકાનો લાભ આપીને છોડી મૂકવાનો હુકમ કર્યો છે. આરોપી પક્ષે એડવોકેટ મનીષ પી. ઓઝા (ગોપાલ ઓઝા), કુ. મેનાઝ એ. પરમાર, કે. એ. પ્રજાપતી તથા ટી. બી. દોશી દ્વારા બચાવ પક્ષની દલીલો રજૂ કરવામાં આવી હતી.






